સુરેન્દ્રનગર જિલ્લામાં PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે LPG સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ

નવા સરકારી નિયમ મુજબ PNG અને LPG બંને કનેક્શન એકસાથે રાખવા પર મનાઈ, LPG કનેક્શન પરત કરવા સુચના

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 'આવશ્યક વસ્તુ અધિનિયમ, ૧૯૫૫' હેઠળ જાહેર કરાયેલા નવા સુધારા આદેશ, ૨૦૨૬ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ વિતરણ વ્યવસ્થામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો મુજબ, જે ગ્રાહકો પાસે પીએનજી (PNG - પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે, તેઓ હવેથી પોતાના ઉપયોગ માટે ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડર રાખી શકશે નહીં. જિલ્લામાં જે ગ્રાહકો હાલમાં PNG અને LPG એમ બંને પ્રકારના કનેક્શન ધરાવે છે, તેઓએ પોતાનું ઘરેલું LPG કનેક્શન તાત્કાલિક અસરથી વહેલીતકે પરત કરવાનું રહેશે. આવા ગ્રાહકો હવે સરકારી ઓઈલ કંપનીઓ કે તેમના અધિકૃત વિતરકો પાસેથી ગેસ રિફિલ મેળવી શકશે નહીં. વધુમાં, PNG કનેક્શન ધરાવતી કોઈપણ વ્યક્તિ નવું ઘરેલું LPG કનેક્શન મેળવી શકશે નહીં તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. આ નિયમનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા માટે જિલ્લાની PNG કંપનીઓ અને ઓઇલ માર્કેટીંગ કંપનીઓને ડેટા મેપિંગ કરી સંયુક્ત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. બંને કંપનીઓ પોતાના ડેટાનું મેપિંગ કરશે જેથી ડબલ કનેક્શન ધરાવતા ગ્રાહકોની ઓળખ કરી શકાય. જિલ્લામાં ગેસના જથ્થાનું અનઅધિકૃત વેચાણ અટકાવવા અને પુરવઠાની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા દૈનિક ધોરણે તપાસની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના તમામ નાગરિકોને આ નવા નિયમોનું પાલન કરવા અને સ્વેચ્છાએ વધારાના કનેક્શન જમા કરાવી દેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો 

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી